તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું

By: Nation Gujarat Team
08 May, 2026

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાને પાંચ દિવસ થઈ ગયા છે, તેમ છતાં હજુ પણ રાજ્યમાં નવી સરકાર બનાવવાને લઈને ઘમસાણ ચાલી રહ્યું છે. પરિમાણોમાં એકપણ પક્ષ બહુમતી આંકડા સુધી પહોંચી શકી નથી, તેથી TVKના વડા થલાપતિ વિજય સરકાર બનાવશે કે જાની દુશ્મન DMK-AIADMK ભેગા થઈને ટીવીકેનો ખેલ કરી નાખશે, તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. ત્યારે હવે AIADMK અને ભાજપને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે અને આ વિગતો વિજય માટે સારા સંકેત હોવાનું પણ સામે આવ્યું છે.

કોંગ્રેસનો સાથ છતાં ટીવીકેનું ટેન્શન યથાવત્

ચૂંટણીમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજય અને તેમની તમિલગા વેત્રી કડગમ (TVK) પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી છે, પરંતુ બહુમતીના આંકડા સુધી પહોંચી શકી નથી. કોંગ્રેસે વિજયને સમર્થન આપ્યું છે, તેમ છતાં ટીવીકે સરકાર બનાવવા માટેનો જરૂરી આંકડા સુધી પહોંચી શકી નથી.

રાજ્યમાં અટકળોનો દોર અને વિજયની દોડધામ યથાવત્

રાજ્યમાં સરકાર બનાવવા માટે વિજય છેલ્લા ચાર દિવસથી દોડધામ કરી રહ્યા છે. તેઓ 113 ધારાસભ્યોની યાદી લઈને બે વખત રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા અને બંને વખત રાજ્યપાલે 118 ધારાસભ્યોની યાદીનો નિયમ બતાવી તેમને પરત મોકલી દીધા છે. આ સમયગાળા દરમિયાન જાની દુશ્મનો DMK-AIADMK ગઠબંધન કરવાની તૈયારીઓમાં હોવાની પણ અટકળો સામે આવી હતી, જોકે હજુ સુધી આવું થઈ શક્યું નથી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે ભાજપને લઈ ચોંકાવનારી વિગત સામે આવી છે.

વિજય માટે સારા સંકેત !

હવે એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે, AIADMK ભાજપનો સાથ છોડીને NDAમાંથી બહાર નિકળવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં નવા સવાલો ઉઠ્યા છે કે, શું AIADMK ભાજપ સાથે ગઠબંધન તોડી ટીવીકે અથવા DMKમાંથી કોઈ એક સાથે હાથ મિલાવશે?

ભાજપ સાથે મળીને ચૂંટણી લડનાર AIADMKએ ટીવીકેથી આગળ નીકળી શકી નથી. રાજ્યમાં ટીવીકેએ 108 બેઠકો જીતી છે અને સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોનું સમર્થન મળવું જરૂરી છે. કોંગ્રેસે સાથ આપવાથી ટીવીકે કુલ 113 ધારાસભ્યોનું સમર્થન મળી ગયું છે, જોકે હજુ પણ તે બહુમતીના આંકડાથી પાંચ બેઠકો દૂર છે.

AIADMK વિજયને આપશે સમર્થન?

તમિલનાડુમાં ટીવીકે અને કોંગ્રેસ એક થતા ડીએમકે નારાજ થયું છે, તો ભાજપને ખુશી થઈ છે. સૂત્રો મુજબ, ભાજપ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માંગે છે, તો AIADMKના મનમાં જૂદો પ્લાન ચાલી રહ્યો છે. જો AIADMK એનડીએનો સાથ છોડશે તો કોને સાથ આપશે? AIADMKનું ભાજપ સાથે ગઠબંધન હોવાથી ટીવીકે સમર્થન લેવાથી ખચકાઈ રહી છે. કારણ કે ચૂંટણી વખતે વિજયે ડીએમકેને રાજકીય વિરોધી કહી હતી, જ્યારે ભાજપને વૈચારિક વિરોધી ગણાવી હતી. આવી સ્થિતિમાં વિજયને AIADMK સાથે ગઠબંધન કરી સરકાર બનાવવામાં કોઈ સમસ્યા નહીં થાય.


Related Posts

Load more